આમળાં:- આયુર્વેદનું અમૃતફળ, Amla:- The Amrutfal of Ayurveda ( आंवला:- आयुर्वेद का अमृत फल)
આમળાં:- આયુર્વેદનું અમૃતફળ, Amla:- The Amrutfal of Ayurveda ( आंवला:- आयुर्वेद का अमृत फल)
આમળાંએ વિટામિન સી નો બહુ મોટો સ્ત્રોત છે.આમળાંમાં નારંગી ( સંતરાં) કરતા પણ વધારે વિટામિન સી હોય છે અને તેને કાપવા-રાંધવાથી પણ વિટામિન સી ઊડી જતું નથી અને સુકા ચૂર્ણમાં પણ વિટામિન સી જળવાઈ રહે છે એટલે તેનો ચૂર્ણ તરીકે બારેમાસ ઉપયોગ થઈ શકે છે.
સૌપ્રથમ આમળાંના ગુણ આયુર્વેદિક દ્રષ્ટિએ જોઈએ તો આમળાં ત્રિદોષનાશક ( ખાટાં રસથી વાયુનો, મધુર અને શીત ગુણથી પિત્તનો અને તુરા તથા રુક્ષ ગુણથી કફનો નાશ કરે છે),વય: સ્થાપક( એન્ટી એજીંગ), ચક્ષુષ્ય ( આંખ માટે હિતકર), પ્રમેહનાશક (ડાયાબિટીસ મટાડનાર), રસાયણ, કેશ્ય( વાળ માટે હિતકર),અગ્નિને પ્રદિપ્ત કરનાર, પૌષ્ટિક, પચવામાં હલકા છે.આમળાં જુનો વિષમજવર( મલેરિયા),હદયરોગ, માથાનો દુખાવો, ઝાડા, અરુચિ, ઉધરસ, ડાયાબિટીસ, ચામડીના રોગો, ગોળો(ગેસ),શોષ, પાંડુરોગ (એનિમીયા),અર્શ (પાઈલ્સ), બરોળની વિકૃતિ, ચામડીના રંગની વિકૃતિ, સળેખમ ( એક બાજુનું નાક બંધ થઇ જાય તેવી શરદી), કમળો, સ્વરભંગ( સાદ બેસી જવો), કૃમિ, સોજો,તમકશ્વાસ(અસ્થમા), ઊલટી, નપુંસકતા વગેરે જેવા રોગોમાં આમળાંનો ઔષધીય ઉપયોગ ઘણો જ ફાયદો કરનાર છે.આ રોગોના દર્દીઓએ દરરોજ પાંચ આમળાંનો રસ અથવા પાંચ આમળાં ખાવા જોઈએ.ડાયાબિટીસના દર્દીઓ માટે આમળાં અમૃત સમાન છે.દરરોજ આમળાં અને લીલી હળદરના રસનું સવાર સાંજ સેવન કરવાથી માની ન શકાય તેવો ફાયદો થાય છે.આમળાની સિઝન ન હોય ત્યારે સુકાં આમળાં અને હળદર પાવડર સરખા ભાગે લઈ મિક્સ કરી દરરોજ એક એક ચમચી સવાર-સાંજ પાણી સાથે લેવું.આમળાં અને હળદર ડાયાબિટીસ માટે શ્રેષ્ઠ દવા છે.જેમને ચામડી પર કાળા ડાઘ પડી ગયા હોય તેમણે તીખા અને ગરમ મસાલા ઓછા કરી દરરોજ આમળાંનું ચુર્ણ સેવન કરવું.ઉપરાંત અકાળે સફેદ થતા વાળ, ખરતા વાળ,ટાલ પડવી, શરીરમાં મુત્ર માર્ગમાં ગરમી, સ્ત્રીઓને કોઠે રતવા, વધુ પડતું માસિક વગેરે જેવા અનેક રોગોમાં આમળાંનું કોઈ પણ પ્રકારે સેવન લાભકારી છે.
ભગવાનની આપણી ઉપર કૃપા છે કે આપણા દેશમાં આવું મહાન ઔષધ થાય છે અને તે દરેક માણસને પોસાય તેવા ભાવે ઉપલબ્ધ છે.તો મિત્રો આ સિઝનમાં આમળાનો ઉપયોગ કરી આરોગ્યલાભ મેળવો અને તેની સુકવીને ચુર્ણ બનાવી આખા વર્ષ દરમિયાન ઉપયોગ કરશો તેવી આશા રાખું છું.તમારા મિત્રો, સગાંસંબંધીઓ અને આડોશ પડોશમાં પ્રચાર કરીને આ મહાન ઔષધ ઘેર ઘેર જાણીતું કરવામાં નિમિત્ત બનીએ. જય આયુર્વેદ
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો